‘જે મળી જીવનની પળો, ચલો મન માણી લઈએ…..”
કેલેન્ડરના દટ્ટા પરનું છેલ્લું પાનું ફાડ્યું અને એને સ્થાને નવા વર્ષનું નવું કૅલેન્ડર મૂક્યું. એક વર્ષ પૂરું થયું… આમ કાળના અનંત પ્રવાહમાં એક પછી એક દિવસ અને વર્ષ વિલીન થતા જાય છે. ભગવાન મહાકાળનું સામર્થ્ય અપૂર્વ છે. કાળનો પ્રવાહ કોઈને માટે અટકતો નથી. સમયનાં ચક્રો સતત ફર્યા કરે છે. મહાભારતમાં વિદુરજી ધૃતરાષ્ટ્રને આ શાશ્વત નિયમનની વાત કરતાં કહે છે, ‘સમયને કોઈ સ્વજન કે કોઈ પ્રિય નથી અને કોઈ તિરસ્કૃત કે દ્વેષ કરવા જેવું પણ નથી.’ ‘ન કાલસ્ય પ્રિયઃ કશ્ચિત્ ન દ્વેષ્યઃ કુરુસત્તમ !’ કાળ કાળનું કામ કરતો રહે છે અને આપણે જોતાં રહી જઈએ છીએ !
વાયુને જો આપણે પકડી શકીએ કે મુઠ્ઠીમાં બાંધી શકીએ તો સમયને બાંધી શકીએ. હા, આપણે કાળને પકડી રાખી શકતાં નથી પણ સમય તો આપણને પકડી રાખે છે ! વહેતી પળ તો પરપોટા જેવી છે એને પકડવા જઈએ તો ફૂટી જાય… સમયનું લક્ષણ જ માનવીને હાથતાળી આપીને સરકી જવાનું છે.
સરકી જાયે પલ…
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ…
કવિ મણિલાલ દેસાઈએ લખ્યું છે તે પ્રમાણે આ પળ કેટલી બધી ચંચળ અને નાજુક છે !
‘ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ…’
જોતજોતામાં સમય સરકી જાય છે અને પછી માનવી માટે રહે છે એ ગુમાવેલા સમય માટેના મિથ્યા નિસાસા અને અફસોસ… કોઈક આથમતી એકાંત સંધ્યાએ અથવા તો રાત્રિની નીરવતામાં મનમાં અજંપો સળવળી ઊઠે છે. મન બેચેન બની જાય છે અને થાય છે, ‘આમ ને આમ આટલાં વર્ષો વહી ગયાં ?… ખબરેય ના પડી!’
‘શામ ઇતની જલ્દી કૈસે રાસ્તેમેં ગિર ગઈ
‘સુબહકી પહલી કિરન લેકર ચલે થે ઘરસે હમ.’
અરે ! પ્રભાતનું પહેલું કિરણ લઈને તો અમે ઘેરથી નીકળ્યાં હતાં અને જોતજોતામાં સાંજ ઢળી ગઈ ? માટે જ જીવનમાં આવતી પળની રાહ જોવાને બદલે વર્તમાન પળ સરકી જાય તે પહેલાં એને સજાવી લેવી જોઈએ. શાયર મુકબિલ કુરેશીની આ વાત ખૂબ યાદ રાખવા જેવી છે :
‘સમયની વાટ જોઈને કદી બેઠો નથી રહેતો.
સમય જેવો મળ્યો એવા સમયથી કામ લીધું છે.’
એક કુશળ કલાકાર હાથવગું જે હથિયાર હોય એનો ઉપયોગ કરી એક સુંદર કલાકૃતિનું નિર્માણ કરી દે છે. એ અનુકૂળતાની રાહ જોતો બેસી નથી રહેતો. આપણે માટે અનુકૂળ સમય જીવનમાં બહુ ઓછો આવતો હોય છે પણ આપણે જ સમયને અનુકૂળ થઈને જે સમય આવ્યો, જે તક આવી મળી એનો ઉપયોગ કરવાનો છે. સાથે સાથે આમાં સમય સાથે તાલ મિલાવીને ચાલવાની વાત પણ છે. હસતે મોંએ પ્રત્યેક ક્ષણને વધાવી લેવાની વાત છે, એને ઉજમાળી બનાવવાની વાત છે. ઋતુચક્રની માફક સુખદુઃખની ઘટમાળ તો માનવજીવન સાથે અવિછિન્ન રીતે સંકળાયેલી છે અને તેમાં પણ સુખ ઓછું અને અલ્પકાલીન; દુઃખ વધુ દીર્ઘકાલીન…
ઘણીય વખત એક નાનકડી તુચ્છ બાબતમાં આપણું મનસરોવર ડહોળાઈ જાય છે. દુઃખની એક નાની શી કાંકરી પણ પડતાં આપણું જીવનસરોવર ક્ષુબ્ધ થઈ જાય છે. આપણે તરત જ પ્રારબ્ધનો દોષ કાઢવા બેસી જઈએ છીએ અને દુઃખનો ડુંગર ઊભો કરી દઈએ છીએ.
આપણે ભૂતકાળને ભૂલી શકતાં નથી અને ભવિષ્યની ખોટી અને વધુ પડતી ચિંતામાંથી છૂટતાં નથી. એમાં ને એમાં વર્તમાનમાં જીવવાનું જ જાણે વીસરી જઈએ છીએ, અને મેં આગળ કહ્યું તે પ્રમાણે વર્તમાનની પળને શણગારવાનું – સજાવવાનું ભૂલી જઈએ છીએ અને જ્યારે આપણે માટે પેલો ચિંતામુક્ત અને સુરક્ષિત ભવિષ્યકાળ ધનની થેલી લઈને આવે છે ત્યારે શરીર અને મન બંનેથી આપણે એવાં કથળ્યાં હોઈએ છીએ કે એ ભોગવી પણ નથી શકતાં. એટલે જ પ્રત્યેક દિવસ – પ્રત્યેક કલાક અને પ્રત્યેક ઘડી આપણે જીવી જાણવી જોઈએ. આજનો દિવસ સરસ રીતે જીવ્યાં એનો અર્થ એ થયો કે ગઈ કાલ અને આવતી કાલ બંને સરસ બની રહ્યાં.
જીવનની નાની નાની મુશ્કેલીઓને હસીને ફૂંક મારીને મનમાંથી ઉડાવી દઈ શકીએ અને એમ માનીએ કે મુશ્કેલીની ક્ષણ પણ ચાલી જશે… It will also pass away તો…? તો આપણે જીવનમાં નાનાં દુઃખો અને મુશ્કેલીઓથી ભાંગી પડીશું નહિ. સુખ અને દુઃખ માનવીના જીવનના પોતમાં તાણાવાણાની માફક વણાયેલાં છે. કોઈક કહે કે બસ ! હું તો જિંદગીમાં માત્ર સુખ જ લઈશ અને દુઃખને નહિ લઉં તો એ મોટા ભ્રમમાં જીવે છે, કારણ કે સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ ‘Happiness comes to us wearing the crown of sorrow !’ સુખનો આધાર જીવન પ્રત્યેનાં આપણાં વલણ અને દ્રષ્ટિ પર મહદ્ અંશે હોય છે.
ભૂતકાળના પ્રસંગોને યાદ કરી કરી વાગોળવાથી ઘણી વખત દુઃખ પ્રાપ્ત થતું હોય છે. જે થયું તે ન થયું બનતું નથી. એવી દુઃખદ સ્મૃતિઓને સંકોરી સંકોરીને જીવંત રાખવાથી કોઈ રાહત મળતી નથી. માત્ર વેદના જ ઘૂંટાતી રહે છે. આપણે પોતે શું ન કરી શક્યાં, શું શું ન મેળવી શક્યાં – જીવનમાં કઈ કઈ મુસીબતો વેઠી, કયા વિપરીત સંજોગો આવ્યા, કોણે મદદ ન કરી. કોણે ક્યારે અપમાન કર્યાં – અન્યાયો કર્યાં – એ સતત યાદ રાખનાર – ભૂતકાળમાં જીવનાર વ્યક્તિ દુઃખી જ થાય છે. આવાં past mongers ભૂતકાળમાંથી ક્યારેય બહાર નીકળી વર્તમાનની પળનો આનંદ માણી શકતાં નથી અને ભાવિનાં ઉજ્જવળ સ્વપ્નાં જોઈ શકતાં નથી. ગયેલી તક પર ઢોળાયેલા દૂધની માફક નિઃશ્વાસ નાખી બેસી રહે છે અને આવતી તકને જોઈ શકતાં નથી. કોઈને મન મૂકીને પ્રેમ કરી શકતાં નથી, અને જીવનમાં આવી પડતાં અન્યાય અને અપમાનને સ્વમાનપૂર્વક જીરવી આત્મગૌરવ જાળવી શકતાં નથી…
બસ ! તો પછી આ મંગળ ક્ષણે એ જ પ્રાર્થના કરીએ કે, ‘હે કાળપુરુષ ! હે પરમનિયંતા પરમેશ્વર ! તેં અર્પેલી મારા જીવનની પ્રત્યેક પળને, પ્રત્યેક સંજોગને તારા પ્રસાદરૂપે માની એને સ્વીકારી શકું, એને અપનાવી શકું એવી શક્તિ આપજે. જેથી હું પણ કવિ રમેશ જાનીની માફક ગાઈ શકું—
‘જે મળી જીવનની પળો, ચલો મન માણી લઈએ…’