“કાન જ નહિ પણ દિલ સાંભળે”
કવિશ્રી ઉમાશંકર જોષીએ કહ્યું છે, ‘શબ્દને લઈને હું મારા ગામથી નીકળ્યો હતો અને શબ્દો મને લઈ ગયા જગતને દ્વાર.’
શબ્દમાં અદભુત સામર્થ્ય રહેલું છે. એટલે તો શબ્દને બ્રહ્મ કહેવામાં આવે છે. વાણી માનવીના હૈયાને ચંદનલેપની શીતળતા અર્પી શકે છે તો એ અગનદાહ પણ આપી શકે છે.
ક્યારે શું બોલવું અને શું ન બોલવું, ક્યારે મૌન રહેવું, જે બોલીએ તે કેવી રીતે બોલીએ છીએ અને બીજાને કેવી રીતે સાંભળીએ છીએ એમાં ઘણુંબધું આવી જાય છે. મિતભાષી અને મધુરભાષી વ્યક્તિ સહેજે અન્યના હૃદયને જીતી લે છે અને જીવનમાં મધુર સંબંધો એ સહેજે રચી શકે છે તો ક્યારેક બોલાયેલા કટુ શબ્દો એવા તો ઘા હૈયા પર કરે છે કે એની ગાંઠ મરતા સુધી રહી જાય.
આપણા જગતના વ્યવહારો વાણી દ્વારા ચાલે છે. સારા વક્તા થવાની સાથે સારા શ્રોતા થવાની કળા એટલી જ અગત્યની છે. કોણ જાણે કેમ આપણને બોલવું ગમે છે પણ સહૃદયી શ્રોતા થવાનું ગમતું નથી. બીજાને સાંભળવાની આપણામાં ધીરજ હોતી નથી. પરિણામે આપણે સાંભળતા હોઈએ છીએ, પણ શબ્દો એક કાને પડી બીજા કાને નીકળી જતા હોય છે. આપણા અંતર સુધી કશું પહોંચ્યું નથી પછી એની અસર આપણા પર કેવી રીતે થાય ? એટલે જ કદાચ કવિ અખાએ કહ્યું હશે :
કથા સુણી સુણી ફૂટ્યા કાન
પણ તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન
આનું કારણ એ જ છે કે શબ્દો કાન પર અથડાય ત્યાંથી જ હવામાં વીખરાઈ જતા હોય છે. અંદર સુધી જતા નથી અને હૃદય એને ઝીલતું નથી. પછી આચરણની વાત જ શી કરવી ?
આપણે બીજાને શું કહીએ છીએ એ વાતનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ આપણે એ વાત કેવી રીતે અને કેવા toneમાં કહીએ છીએ તેનું પણ છે. વાત તો સાદી છે. બે વ્યક્તિઓ બોલે છે. એક માત્ર બોલે છે. બીજી વાત કરે છે. બીજી વ્યક્તિ વાતચીતની કળા જાણે છે. એને શબ્દની સૂઝ છે. એના વિચાર સ્પષ્ટ છે. એ મુદ્દાસર, ટૂંકમાં પોતાને જે કહેવાનું છે તે કહે છે. જ્યારે પહેલી વ્યક્તિની વાત નીરસ લાગે છે. એમ થાય છે કે બોલવાનું મન થાય, કારણ કે સામાન્ય વાતને પણ સરસ રીતે કહેવાની એનામાં આવડત છે. એ Jokes પણ એવી રીતે કહે છે કે બધા ખડખડાટ હસી પડે.
મારા કૉલેજકાળ દરમ્યાન મેં ડૉ. રાધાક્રિષ્નન, શ્રી સરોજિની નાયડુ, પંડિત જવાહરલાલ નેહરુને સાંભળ્યાં હતાં. વર્ષોનાં વર્ષો વીતી ગયાં હોવા છતાં હું એમના મોહક, અસ્ખલિત, કાવ્યાત્મક વાણીપ્રવાહને વીસરી નથી. મહાત્મા ગાંધીનું વક્તવ્ય સાદું, ટૂંકું, મુદ્દાસરનું હોય; પણ એમાં ભારોભાર વિશ્વાસ અને દૃઢતા હોય. એમના પ્રત્યેક શબ્દનું મૂલ્ય હતું. એમના વિચારોમાં સ્પષ્ટતા હતી. શ્રોતાઓનો એમને પૂરો ખ્યાલ હતો. સમયની એમને કિંમત હતી.
મને અમેરિકાના મહાન પ્રમુખ અબ્રાહમ લિંકનનો પ્રસંગ યાદ આવે છે. એમને એક વખત વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ આપવા ચાર-પાંચ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ગઈ. ‘સાહેબ ! આપનું વક્તવ્ય દોઢ કલાકનું રાખ્યું છે.’ એમણે લિંકનને કહ્યું, ‘આપ ક્યારે પધારી શકશો ?’
‘પંદર દિવસ પછી રાખી શકશો.’
‘પણ આપને માત્ર એક કલાકનું વ્યાખ્યાન આપવાનું હોય તો જલદી સમય આપી શકશો ?’
‘એક કલાકનું વ્યાખ્યાન હશે તો એક મહિના પછી આવી શકીશ.’ પ્રમુખના ઉત્તરથી આમંત્રણ આપવા આવનારને આશ્ચર્ય થયું.
“સાહેબ, તો પછી અમે માત્ર 15 મિનિટનો જ આપનો સમય રાખ્યો હોય તો ?”
‘તો હું દોઢ મહિના પછી આવીશ.’ પ્રમુખે હસીને જવાબ આપ્યો.
‘સાહેબ ! આપને માત્ર 15 મિનિટ જ વક્તવ્ય આપવાનું છે. પછી શા માટે આટલા લાંબા સમયની જરૂર છે ?’
‘પંદર મિનિટ બોલવાનું છે માટે જ એ વધારે અઘરું છે. મારે એની તૈયારી કરવી પડે. ટૂંકમાં, મુદ્દાસર વાત કહેવા માટે વધુ સમયની તૈયારી કરવી પડે.’
અબ્રાહમ લિંકનમાં આ એક અદભુત આવડત હતી. એટલે તો એમનું જીત્યા પછીનું વ્યાખ્યાન ‘ગેટીસબર્ગ સ્પીચ’ વિશ્વના શ્રેષ્ઠ વ્યાખ્યાનોમાં સ્થાન પામે છે.
જ્યારે કેટલાક નેતાઓ અને રાજપુરુષોની વાત જ શું કરવી ? એક વાર સ્ટેજ પર બેઠા કે માઈક્રોફોન હાથમાં લીધું એટલે થઈ રહ્યું.
એક સરસ રમૂજી પ્રસંગ મારા વાંચવામાં આવ્યો. કેટલાક વક્તાઓ શ્રોતાઓના કેવા હાલ કરતા હોય છે ! એક સારી પ્રેમાળ માતા પોતાના બે બાળકોને શાંતિથી નિદ્રાવશ કરી શકે ત્યારે રાજદ્વારી નેતા ? હજારો શ્રોતાઓને નિદ્રાવશ કરી શકતા હોય છે. તમે એમને બોલતા બંધ નહીં કરી શકો ! એમને બંધ કરવા માટે શ્રોતાઓ જાતજાતનાં સિગ્નલો આપે, બગાસા ખાય, ઉધરસ ખાય, ઝોકાં ખાય કે પછી વારંવાર ઘડિયાળનો કાંટો જુએ.