“સંતાનો સાથે સ્નેહનો સેતુ ..”
એક ખ્યાતનામ ચિત્રકાર હતો. એણે એના વિદ્યાર્થીઓને એક સુંદર કલાકૃતિનું નિર્માણ કરવા કેટલી જહેમત ઉઠાવવી પડતી હોય છે, કેટલો પ્રેમ અને લગાવ જોઈએ એ સમજાવવા માટે ક્લાસરૂમના પ્રવેશદ્વારની સામે દીવાલ પર એનું એક વિખ્યાત ‘માસ્ટર પીસ’ કહેવાતું ચિત્ર મૂક્યું. વર્ગમાં દાખલ થતાં જ વિદ્યાર્થીઓની નજર એ ચિત્ર પર પડતી અને તરત જ એમના મોંમાંથી ઉદગાર નીકળી જતો,
‘ઓહ ! કેટલું અદભુત ચિત્ર છે !’
સમય જતાં એ ચિત્રકાર વર્ગમાં દાખલ થયા અને રૂમમાં મૂકેલાં ટેબલ પાસે બેઠા. ટેબલ પર મૂકેલા સફેદ કેન્વાસ પર વોટરકલર્સ લઈ ચિત્ર દોરવા માંડ્યું. અંદર રંગો પૂરાતાં હતા. અર્ધાએક કલાકમાં એણે ગ્રામીણ દ્રશ્યનું એક ચિત્ર તૈયાર કરી દીધું. ચિત્રકારે ઊભા થઈ, આ ચિત્રને પેલા સુંદર ‘માસ્ટર પીસ’ની પાસે મૂક્યું.
‘મિત્રો ! મને ખબર છે. તમને મારું દીવાલ પર મૂકેલું ખ્યાતનામ ચિત્ર ખૂબ પસંદ પડ્યું છે. તમારા પ્રશંસાના શબ્દો મેં સાંભળ્યા પણ તમને આ મેં હમણાં જે ચિત્ર દોર્યું છે, એનામાં અને ‘માસ્ટર પીસ’ ચિત્રમાં શું તફાવત લાગે છે ?’
‘એ બે ચિત્રો વચ્ચે આસમાન જમીનનો તફાવત છે.’ ચિત્રકારને જવાબ મળ્યો.
પરંતુ ચિત્રકારનો જવાબ તો આશ્ચર્યચકિત કરે તેવો હતો. ‘આ વિખ્યાત કલાકૃતિ પાછળ મારા સેંકડો ને સેંકડો કલાકો પ્રેમભર્યા કલાકો રહ્યા છે ? ‘Hundreds And Hundreds Hours of Love !’ અમુક પ્રકારના છાયા-પ્રકાશ-વાતાવરણ અને ‘મૂડ’ એ બધાને સાકાર આપતાં કંઈ કેટલાયે પ્રેમભર્યા-લગનીભર્યા કલાકો રહ્યા છે !’
આ જ વાત બાળકોના ઉછેરને લાગુ પડે છે. બાળક પોતાનું સુંદર સર્જન બની શકે તે માટે માતા-પિતાએ સેંકડો પ્રેમભર્યા કલાકો આપવાના હોય છે.
બાળકો આપણી આશા છે. આપણું સ્વપ્નું છે. આપણાં જીવનનું સુખ-દુઃખ ઘણે અંશે એમનાં પર અવલંબે છે. આપણે એમને બધી રીતે સુખી અને સફળ કરવા ઇચ્છતાં હોઈએ છીએ. એટલે જ બાળકનો ઉછેર મા-બાપ માટે એક મોટો ‘પ્રોજેક્ટ’ બની જાય છે.
બાળકને ઉછેરવાનો ઘણો આનંદ હોય છે. છતાંયે માતા-પિતાની મૂંઝવણ અને વિમાસણ ઓછાં નથી હોતાં. કદાચ આના જેટલું કપરું છતાં આનંદપ્રદ કામ એક પણ નહીં હોય. એટલે જ વડીલો કહેતાં હોય છે કે બાળકને ઉછેરવું એટલે માથે ઝાડ ઉગાડવું ! બે અઢી દાયકા પહેલાં બાળકને ઉછેરવાનું કાર્ય હતું એનાં કરતાં આજે એ ઘણું વિકટ અને તણાવભર્યું બન્યું છે.
બાળકને સુખી અને પ્રસન્ન બનાવવું – આજની અત્યન્ત ઝડપથી બદલાતી દુનિયાની પરિસ્થિતિ, સમસ્યાઓ અને સંઘર્ષ સામે ટકી શકે અને પોતે પોતાનું એક સરસ સુખી કુટુંબ નિર્માણ કરી શકે એવું સક્ષમ બનાવવું એ માતા-પિતા માટે ભગીરથ કાર્ય છે. એ ખૂબ જ સાધના માંગી લે છે. એનું પરિણામ લાંબે ગાળે જોવા મળે છે, પણ એ માતા-પિતા માટે, પછી તે ગમે તે સ્થિતિના કેમ ન હોય પણ એમને માટે જીવનનું પરમસુખ અને મોટી ઉપલબ્ધિ બની રહે છે, અને સંતાનો માટે જીવનભરનું પાથેય.
બાળકને જન્મ આપવો એ એક શારીરિક ઘટના છે, પણ બાળક એક સારો જવાબદાર નાગરિક અને સરસ માણસ બને તેવો ઉછેર કરવો એ બીજી વાત છે. આપણે માત્ર ઈચ્છા રાખીએ કે મારો દીકરો કે દીકરી આ થાય કે તે થાય, એવી માત્ર ઇચ્છાથી કંઈ નીપજી શકતું નથી. માતૃત્વ અને પિતૃત્વ એ અત્યન્ત મુશ્કેલ અને જટિલ કામગીરી છે, એટલે જ તો આ કાર્યમાં ઘણાં માતા-પિતા ઊણાં ઊતરે છે, નિષ્ફળ નીવડે છે.
તમને કદાચ નવાઈ લાગશે પણ રવિ એના પિતા સાથે ભાગ્યે જ બોલે છે. પિતા આવે એટલે રવિ કાં તો પોતાના ઓરડામાં ચાલ્યો જાય અથવા ઘરની બહાર જતો રહે. બંને વચ્ચે કોઈ સંપર્ક જ નથી ! નથી વાતચીત, વ્યવહાર કે સંવાદ. બંને વચ્ચે ભાવસંક્રમણનો સેતુ તૂટી ગયો છે. આવું કંઈ અચાનક જ નથી બનતું. ધીમે ધીમે વર્ષોથી ચાલતી પ્રક્રિયાનું આ પરિણામ હોય છે.
તમને રીનાની વાત કરું. રીના એ જુવાન છોકરી છે. રોજ રાતે બાર-એક વાગે ઘેર આવે છે. એને ખબર છે કે એની મા એની ચિંતા કરતી જાગતી ઘરમાં બેઠી હશે. એના પિતા ઓરડામાં મૂંગા મૂંગા આંટા મારતા હશે. મા સતત ચિંતિત રહે છે, પિતા વ્યથિત રહે છે, પણ એની કોઈ અસર રીના પર થતી નથી. એ તો ઊલટું મા-બાપને દુઃખી જોઈ મનમાં ખુશ થાય છે !
રવિ અને રીના જેવાં કેટલાંયે તરુણો તમને જોવા મળશે. એમને પૂછશો તો કહેશે કે એમના માતા-પિતા અને કુટુંબ સાથેના સંબંધોમાં એક પ્રકારની ગુપ્ત ઉદાસીનતા અને તિરસ્કારનો આંતરપ્રવાહ સતત વહેતો રહ્યો હતો.
એમના પ્રત્યે એમના કુટુંબમાં પૂરતો સ્નેહ દર્શાવાયો નહોતો. એમની અને એમનાં માતા-પિતા વચ્ચે ભાવસંક્રમણ થઈ શક્યું નહોતું. ‘Communication’ હતું જ નહીં. બંને એક ઘરમાં, એક છાપરા નીચે સાથે રહેતાં હતાં, પણ મા-બાપ અને સંતાનોએ એમનાં જીવનના મહત્વના અંશ અને વિસ્તારની આસપાસ પોતાની જાતે જાણે કે ‘Silence Zone’ રચી દીધો હતો અને એમાં તેઓ જીવતાં હતાં ! સંતાનોના ભાવજગતમાં માતા-પિતાનો પ્રવેશ નહોતો ! જીવનની આ કેવી મોટી કરુણતા કહેવાય ! માતા-પિતા માટે જ્યારે સંતાનો જીવનનું મોટું સુખ અને સંતોષ હોય છે અને જ્યારે માતા-પિતા જેવો બીજો કોઈ પર્યાય સંતાનો માટે નથી હોતો ત્યારે આ કેટલી વિષમ પરિરિસ્થિતિ કહેવાય ! લોહીનો આ સંબંધ વકરે છે ત્યારે ઊભય પક્ષે દુઃખ જ થતું હોય છે.
‘અમારા મમ્મી-પપ્પા પાસે અમારે માટે સમય જ ક્યાં છે ! એ લોકો એમની દુનિયામાં, એમનાં કામકાજમાં અને પ્રવૃત્તિઓમાં રચ્યાં-પચ્યાં હોય છે. અમારી પાસે મોંઘી વીડિયો ગેમ્સ છે, સરસ કપડાં-લત્તાં છે, સાહ્યબી છે, પણ મા-બાપનો સાથ અને સહવાસ નથી. ‘They are not available to us !’ ખાસ કરીને સમાજના ઉપલા વર્ગમાં આવી સ્થિતિ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ‘Absentce Landlordism’ વિષે આપણે સાંભળ્યું છે, જાણ્યું છે પરંતુ ‘Absentce Parents’ આ આધુનિક યુગનું દુઃખદ અને કરુણ પાંસુ છે !
બંને મા-બાપ કાં તો નોકરી કરતા હોય અને પરિણામે બાળકને માનો પૂરતો સહવાસ અને સોબત ન મળે, અથવા તો મા પોતાની સામાજિક પ્રવૃત્તિઓમાં અને પાર્ટીઓમાં અને પિતા પોતાના વ્યવસાયમાં અને મિત્રોમાં રચ્યા પચ્યાં હોય.