Vhali Dikri Ne

 

“તમારું એ કર્તવ્ય છે…”

વહાલી દીકરી શુચિ,

તને એમ થાય છે ને કે મમ્મી આ બધી વાત મને શું કામ કરે છે ? હું શું કરું ? અમારે અમારી પણ કેટલી સમસ્યાઓ હોય છે ! અભ્યાસની ચિંતા સારી કૉલેજ, યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની ચિંતા, સતત ચિંતા અને તણાવ ! મા-બાપ અને કુટુંબીજનો સાથે મતભેદ-ઘર્ષણ અને અમારા સમવયસ્કનો સ્વીકાર-Acceptance… દુનિયામાં બધું ચાલ્યા કરે. હું જાણું છું, ઘણુંબધું ખરાબ છે-બદલાવું જોઈએ પણ…

શુચિ ! તમારી વાત સાચી છે પણ આ નિરાશા સારી નથી. આ થાકેલા-હારેલાના વિચારો છે અને આપણે એ સાચા માની લઈએ છીએ પણ બહેન ! જીવન અંધકારમય ત્યારે જ હોય છે, જો એ પ્રેરણારહિત હોય, એ જ્ઞાનહીન હોય. ખલીલ જિબ્રાને યુવાનોને સંબોધીને જે કહ્યું છે તે જાણવા જેવું છે. એ કહે છે, ‘એ મહેનત નકામી છે જેમાં પ્રેમ ન હોય. જ્યારે તમે પ્રેમથી મહેનત કરો છો ત્યારે એ પોતાની સાથે, બીજા સાથે તેમજ ઈશ્વર સાથે યોગ કરશે.’ પ્રેમથી કરેલું કાર્ય એ યોગ છે. આપણે જે સમાજમાં જન્મ્યા-રહ્યા અને વિકસ્યા એનું ઋણ ચૂકવવું એ આપણું સામાજિક કર્તવ્ય છે. તમારી પેઢીનું એ ઉત્તરદાયિત્વ તમારે નિભાવવાનું છે.

શુચિ ! જગતની ઘણી ઘણી વસ્તુઓ-વસ્તુમાત્ર એમ જ કહો ને કે પરિવર્તન માગી રહી છે અને તે માટે મોં માંગી કિંમત ચૂકવીને એ નવું સર્જન પામી પણ રહી છે.

શુચિ ! આપણે જ્યારે જ્યારે જાગૃત રીતે વિચારતાં થયા છીએ ત્યારે ત્યારે આપણી આસપાસ આપણને છેલ્લાં બે વિશ્વયુદ્ધો પછી જગત જાણે નવી ક્રાંતિના ઉંબર પર ઊભેલું દેખાય છે. આ ક્રાંતિ પહેલાંની ક્રાંતિઓ કરતાં ઘણી જુદી, ઊંડી છે.

‘પહેલાંની ક્રાંતિઓ રાજકીય હતી, આર્થિક હતી. આજની આ ક્રાંતિ મૂલગામી છે. માણસ જે મૂલસમ સમજીને વળગી રહેતો હતો તે બધાં આજે ઉપરતળે થઈ રહ્યાં છે. વિસર્જિત થઈ રહ્યાં છે. માણસ જેને પરમ આદર્શ અને પરમશક્તિ માનતો હતો તે પણ હવે પોલાં સત્વહીન દેખાવા લાગ્યાં છે. બહેન ! આપણાં નૈતિક અને વૈચારિક મૂલ્યો, આજના વૈશ્વિક સંબંધમાં – આજની પરિસ્થિતિ માટે નકામાં લાગે છે. આ સમયે જાણે જીવનસિદ્ધિનો એક નવો મોરચો રચાઈ રહ્યો છે. એમ જ કહોને કે જગતમાં આટલાં વિશાળ પાયા પર થઈ રહેલી ઊથલપાથલ એ આ બધાં અપતત્વનો જાણે કે વિદાય સમારંભ જેવી છે. આને અંતે મંગલમય મધુર, સુંદર, શિવરૂપ જગત રચવાનું છે.’ આવું કવિ શ્રી સુંદરમે એમના એક વ્યાખ્યાનમાં કહ્યું હતું.

શુચિ ! હવે તું સમજીને. આવા મંગલમય ન્યાયપૂર્ણ સમાજનું સર્જન નારીના પૂર્ણ સહયોગ અને પ્રદાન વગર શક્ય નથી. એ માટે નારીના આત્માનો અને વ્યક્તિત્વનો બરાબર વિકાસ થાય એ જરૂરી છે અને એનો જો પૂરતો અને યોગ્ય વિકાસ થાય તો તે પુરુષ કરતાં પણ વધુ બળવાન પુરવાર થઈ શકે. શુચિ ! જરા સમજ, સ્ત્રી તો પરિવારનો પ્રાણ હોય છે. જીવનના દરેક મહત્વપૂર્ણ અંગ પર નારીની છાયા અને પ્રભાવ છે. તદુપરાંત તેની કરુણા, મમતાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરાય તો તે દેશના ઘડતરમાં ક્રાંતિકારી પરિણામ લાવી શકે છે.

દેશ કે સમાજનો ખરો આધાર તો એના લોકો જ છે ને ? વ્યક્તિઓનું નિર્માણ જ એનો અંતિમ અર્થ છે ને ? આ નિર્માણના કેન્દ્રમાં કોણ હોય છે ? મા, પત્ની, બહેન, દાદી જ હોય છે ને ? જો તેની મમતા અને પ્રેમ સર્જનાત્મક હશે, પુરુષ માટે પડકારરૂપ હશે, પ્રેરણાદાયી હશે, તો એક નવા ભારતનું નિર્માણ થશે તે નિઃશંક વાત છે.

શુચિ ! આપણે આજની સામાજિક અને રાજકીય વ્યવસ્થામાં જે જે દૂષણો ઘૂસી ગયાં છે, એને દૂર કર એક નવા સમાજનું નિર્માણ કરવાનું છે, જેમાં કાયદાનું રાજ હોય. એક એવો સમાજ જેમાં અધિકારોનું સન્માન થાય છે. કર્તવ્યનું પાલન થાય છે. હિંસાનો પ્રતિકાર થાય છે. સમાનતા ચરિતાર્થ થાય છે અને સત્તાનો દુરુપયોગ સત્તાધીશો દ્વારા ન થાય. જ્યાં ન્યાય અને કાયદો સર્વોચ્ચ સુપ્રીમ હોય. બહેન ! આ બધું યુવા પેઢીએ કરવાનું છે અને મહિલાઓના સાથ અને સહયોગ વગર નહિ થાય.

તું જાણે છે, નારીના કાર્યનું મહત્વ ? દેશના-દેશના જ નહિ પણ જગતના ભાવિનો આધાર આપણાં પોતાનાં કૃત્યો પર અને આપણી ઊગતી પેઢીઓ-બાળકોનો ઉછેર આપણે કેવી રીતે કરીએ છીએ તે પર નિર્ભર છે. માતાએ જ પોતાની પુત્રી માટે નવી કેડી અંકારવી પડશે. સ્ત્રી એટલે લાચાર, પરવશ, પરાધીન કે નિર્બળ સ્ત્રી નહિ. નીચી કક્ષાની નહિ પણ ચેતનાથી ધબકતી વ્યક્તિ. બહેન ! સ્ત્રીનો અવતાર શાપિત નથી, પણ અનેક સુંદર શક્યતાઓથી ભરેલો છે. નારી મોહિની સ્વરૂપ છે પણ મહિષાસુર-મર્દિની પણ છે જ. પ્રતિબદ્ધ સ્ત્રીઓ જ સામાજિક પરિવર્તન કરી શકે. એ માટે એણે એની ક્ષમતા અને શક્તિનો યોગ્ય વિકાસ કરવો જરૂરી છે.

શુચિ ! દુઃખની વાત છે. આપણે ગાંધીજીના જીવનમૂલ્યોને ભૂલી ગયા છીએ ! એમણે સ્ત્રીઓને જાગૃત કરી અને એમનું કર્તવ્ય બતાવ્યું. એમણે શીખવ્યું હતું કે ‘સચ્ચાઈ અને સ્વમાનને વળગી રહેવું. કોઈ રૂઢિ કે સમાજને ખોટું નમતું ન આપો. નિર્ભયતાથી અન્યાયનો પ્રતિકાર કરો. એમણે બહેનોને સમજાવ્યું હતું કે સ્ત્રીઓની ભાગીદારી ખરી પણ ગુલામગીરી નહિ. બધા જ સંબંધો ખરા પણ ખુદવફાઈ સૌથી મહત્વની છે.’

શુચિ ! સ્ત્રી એટલે માતા. માતાનો ખોળો એટલે બાળકની પ્રથમ શાળા. સંતાનની ઉંમર ગમે તેટલી હોય અને એ ગમે તે સ્થળે અને ગમે તે સ્થાને હોય પણ માતાનો ખોળો એટલે શાંતિનું-સ્નેહનું ધામ. જગતના મોટા મોટા માણસોના જીવનઘડતરમાં માનો અમૂલ્ય ફાળો હોય છે. ગઝલકાર બરકત વીરાણીએ માતાને ઈશ્વરનું પ્રતીક કહ્યું છે :

ઈશ્વર !

‘એ માનવીને સર્જે છે,

પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો

અને લખે છે ત્યારે એ માતાનું નામ લખે છે

પણ માતા એ ઈશ્વરનું પ્રતીક છે

એ બાળકને એના પિતાનું નામ આપી દે છે !’

માતૃમુખેન ભોજનમ્ માતૃમુખેન શિક્ષણમ્ !

શુચિ ! તું જ કહે, સર્જનહારે નારી પર કેટલી જવાબદારી મૂકી છે ! આવતી પેઢીનું ભાવિ એણે નિર્માણ કરવાનું છે.

બહેન ! આજે આપણે સ્ત્રીઓએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. આપણે નવી ઊગતી પેઢીમાં શીલ-સંયમ-સદાચાર અને સંસ્કારનું સિંચન કરીએ છીએ ? આપણે દેશવ્યાપી ભ્રષ્ટાચારની ફરિયાદ કરીએ છીએ પણ આપણે જ એને આડક્તરી રીતે ઉત્તેજન નથી આપતાં ? આપણા પિતા-ભાઈ-પતિ અને પુત્રને ખરી ખોટી રીતે કમાવા માટે ઉશ્કેરતા નથી ?

શુચિ ! તું માને કે ન માને પણ એ હકીકત છે કે આજે પૈસાનો મોહ અને નકલ કરવાની વૃતિ ખૂબ જ વધતાં ગયાં છે ! દેખાદેખી આપણને બધું જ જોઈતું હોય છે – બધું જ કરવું હોય છે. એમાં આપણે આપણું બેલેન્સ-સમતુલા ગુમાવી બેઠા છીએ. આપણે યાદ રાખીશું કે દેખાદેખીથી ખોટા ખર્ચ કરવા એ ખોટું છે ? ક્યારેક તો આપણે એ માટે આંખ મીંચી દોટ મૂકતાં અટકવું જ પડશે.

બહેન ! આપણે સંસ્કૃતિ અને માનવતાભર્યા રાષ્ટ્રનું નિર્માણ કરવું છે. એમાં મહિલાઓનો સહયોગ અને ઊચેરું સ્થાન જરૂરી છે. પરવશ-લાચાર નારી રાષ્ટ્રના નવઘડતરમાં ફાળો ન આપી શકે…

ફિલ બોસામત્સનું અતિ સુંદર પુસ્તક ‘Give Happiness a chance’નો શ્રી રમેશ પુરોહિતે ભાવાનુવાદ કર્યો છે. એમાં સ્ત્રી અને નૂતન સમાજ વિષે જે લખ્યું છે તે ખરેખર અત્યંત મનનીય છે. શુચિ ! એ તને ગમશે, એટલું જ નહિ પણ તારા મનમાં થતા પ્રશ્નનો જવાબ તને મળી પણ રહેશે…

‘પોતાની જાતને કવરપેજ પર ચિતરાવવાનું, પોસ્ટરોમાં છપાવવાનું કે જાહેરખબરોમાં વિખરાવવાનું ખરેખર મુક્ત મહિલા પસંદ નહિ કરે. સ્ત્રીને એના કરતાં વધારે વિશાળ અને અર્થપૂર્ણ ઉમદા કાર્ય કરવાનાં છે. એમની લાગણીસભર અખિલાઈભરી સર્જનાત્મક શક્તિને ફરીથી પુષ્પિત કરવી જોઈએ. આ ગળાકાપ હરીફાઈ, સત્તા, જટિલ વેપારની લે-વેચ, ટેક્નોલૉજી વગેરેથી ફેરફાર થતી પુરુષોની દુનિયામાં સ્ત્રી એ મહત્વની શક્તિ છે. નબળા અને નિર્બળને જ્યાં કોઈ સ્થાન નથી એવા આ સમાજનું પુનઃનિર્માણ કરવામાં આજની યુવાન મહિલાઓની ભૂમિકા નિર્ણયાત્મક રહેશે.’

એટલા માટે જ શુચિ ! મેં આપણી સામાજિક પરંપરાઓની અને માન્યતાઓની તેમજ આપણી મહિલાઓના એક વિશાળ સમુદાયની વેદના અને વ્યથાની, એમના સંઘર્ષ અને સમસ્યાઓની તેમજ આજની શિક્ષિત યુવતીઓની આશા-આકાંક્ષા-સ્વપ્ના અને તેમની વિવિધ સમસ્યાઓની વાત આટલી વિગતે લખી.

બહેન ! હર્યાભર્યા સુંદર સમાજના નવનિર્માણમાં તમારી ભૂમિકા અત્યંત મહત્વની છે. તમારું એ કર્તવ્ય છે. તમને અમારી શુભેચ્છાઓ છે…