“કલ હો ના હો…”
આવું કંઈ થશે તો હું શુ કરીશ ? ભવિષ્યમાં આવું કંઈ બને, આ પ્રકારની કોઈ મુશ્કેલી આવી પડે તો શું થશે ? એવી કલ્પના કરી આપણે દુઃખી થઈએ છીએ. અમારા મિત્ર ડૉ. અમૂલ શાહે આવી મનોદશા વિષે એક સુંદર પ્રસંગ કહ્યો હતો :
એક માણસને ખાસ મહત્વના કામ અંગે એકાએક લગભગ 200 માઈલ દૂરને સ્થળે જવાનું થયું. રાત પડી ગઈ હતી, પણ ગયા વગર ચાલે એમ નહોતું એટલે એની મોટરમાં એકલો નીકળી પડ્યો. થોડેક દૂર ગયા પછી એને વિચાર આવ્યો કે ઘેર પહોંચતાં મધરાત થઈ જશે. હું એકલો છું અને રસ્તો નિર્જન છે, મોટર બગડે તો શું થશે ? મોટરના ટાયરનું પંક્ચર થાય તો શું કરીશ ? આ વિચારે એ ખૂબ ગભરાઈ ગયો છે ! ‘જેક’ નથી અને મોટરને પંક્ચર થાય તો શું કરીશ ? રાતનો સમય અને એકાંત રસ્તો ! મદદ પણ કોની મળે ? એ વિચારે એને તો આખે શરીરે પરસેવો વળી ગયો ! ‘શું થશે ?’ ‘શું થશે ?’ એ ગભરાટમાં એ મોટર ચલાવતો રહ્યો. ગામની લાઇટ દેખાવા માંડી… એ પહોંચવામાં જ હતો. હાશ ! સ્થળ આવી પહોંચ્યું ! એણે નિરાંતનો શ્વાસ લીધો. ન તો મોટર બગડી કે ન તો પંક્ચર પડ્યું, પણ આખે રસ્તે ‘જેક નથી’ ‘જેક નથી’ એ ચિંતામાં દુઃખી થતો રહ્યો ! મોટે ભાગે આપણે પણ ભવિષ્યની આવી ચિંતામાં જ જીવીએ છીએ. મુશ્કેલીની કલ્પના કરી કરીને આપણે દુઃખી થઈએ છીએ.
આપણી મોટામાં મોટી ભૂલ એ થાય છે કે આપણે આપણા મનને આપણી જાત માની લીધી છે. આપણો હાથ કે આપણો પગ આપણો ખરો, પણ ‘આપણે’ નથી. આપણો દેહ આપણો આત્મા નથી. દેહ અને આત્મા બંને જુદા છે, તેમ. ‘આપણે’ આપણું મન નથી. જ્યારે મન સ્થિર થાય ત્યારે જ આપણે આપણા સ્વરૂપને – આપણા અસ્તિત્વને પિછાણી શકીએ. આ અંગેની જાણ એટલે જ ‘સમ્યક્ જ્ઞાન.’
થોડાંક વર્ષો પહેલાંની વાત છે. મારે અમદાવાદ જવાનું થયેલું. અમારાં વર્ષો જૂના મિત્રને મળવા ગયાં. ઉંમર થવા છતાં એમનો વાંચનનો શોખ એટલો જ ઉત્કટ રહ્યો હતો. સતત વાંચતા રહે.
‘જુઓ, આ પુસ્તક – ‘The Power of Now.’ મને ખૂબ જ ગમ્યું છે. તમે એ લઈ જાવ. તમને ગમશે. એ પુસ્તક હું લઈ આવી. ધીમે ધીમે વાંચીને પૂરું કર્યું. મારા દિલમાં એ પુસ્તક વસી ગયું. લેખક એકહાર્ટ ટોલે – ‘Eckhart Tolle’ એમના પુસ્તક ‘The Power of Now’માં આપણને સમજાવતાં કહે છે :
‘જ્યારે તમે માત્ર વર્તમાનમાં હો, તમારું બધું જ ધ્યાન આ ક્ષણ પર ‘Now’ પર હોય, અબઘડી પર, આ પળ પર હોય ત્યારે તમારા અસ્તિત્વની ‘Being’ની અનુભૂતિ થઈ શકે. આ અસ્તિત્વ પ્રત્યે જાગૃત થવું અને સ્વપ્રાપ્તિની સ્થિતિમાં રહેવું એનું નામ જ્ઞાન.’
તેઓ કહે છે, ‘મોટા ભાગનું દુઃખ માણસે પોતે જ ઊભું કરેલું હોય છે. જ્યાં સુધી તમારું મન તમારા જીવનનો દોરીસંચાર કરતું રહે છે ત્યાં સુધી દુઃખ રહેવાનું જ. આપણે જે દુઃખને ઊભાં કરીએ છીએ તે વર્તમાનના અચેતન વિરોધને કારણે છે. દુઃખની ઉત્કટતા તમે વર્તમાન ક્ષણનો કેટલો પ્રતિકાર કરો છો તેના પર છે. તમે જેટલે અંશે વર્તમાનનો આદર કરી શકો અને ‘Now’નો આ ક્ષણનો સ્વીકાર કરો એટલું દુઃખ ઓછું. તમે સમજી લો કે વર્તમાન પળ જ તમારી પાસે છે અને એ તમારી છે. તમે એ ક્ષણને જિંદગીનું ફોકસ બનાવો.
ઝેન તત્વજ્ઞાન પણ કહે છે, ‘સંપૂર્ણપણે વર્તમાન ક્ષણનો સ્વીકાર કરો, પછી નહિ રહે કોઈ સમસ્યા, કોઈ વેદના કે દુઃખ !’
સૂફી કવિ રૂમિ કહે છે, ‘ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને પરમાત્માને આપણી દ્રષ્ટિની બહાર રાખે છે. એ બંને સળગાવી દો. તમારી પાસે જે છે તે અત્યારની ક્ષણ છે. તમે વર્તમાન ક્ષણમાં રહેલી શક્તિને અનુભવો અને તમારા સ્વરૂપને, તમારા સંપૂર્ણ અસ્તિત્વને પિછાણો.’
લેખક એકહાર્ટ કહે છે કે આપણે બધા ‘Habitual waiter’ છીએ ! આખું જીવન આપણે પ્રતીક્ષામાં જ ગાળી નાખીએ છીએ. આ પ્રતીક્ષા જ આંતરિક સંઘર્ષ ઊભો કરે છે ! તમે અત્યારે અને અહીં જ છો તે તમને ગમતું નથી. એ તમને નથી જોઈતું અને તમે નથી ત્યાં તમારે જઈ પહોંચવું છે !
તમે તમારી પાસે જે છે – તમે જે મેળવ્યું છે તે માટે – તમારી હયાતી માટે, તમારા અસ્તિત્વ માટે, આ વર્તમાન ક્ષણ માટે તમે પરમતત્વના અહેસાનમંદ રહો એમાં જ જીવનની સાચી સંપત્તિ રહેલી છે. જીવનનું એ જ મોટું ઐશ્વર્ય છે. ભૌતિક સુખો ક્ષણજીવી હોય છે. નાશવંત હોય છે. આજે જે છે તે કાલે નહિ હોય એટલે જ એ સુખમાં જ દુઃખનાં મૂળ રહેલાં હોય છે. આપણે સમજી અને સ્વીકારી લઈએ કે સુખ કે દુઃખ એ આપણે નથી. એ તો માત્ર જીવનની પરિસ્થિતિ અને સંજોગો છે. દુઃખથી ઉદ્વિગ્ન થવાનું નથી અને સુખથી છકી જવાનું નથી. જ્યાં સુધી બધાં સુખસગવડનાં સાધનો હોય ત્યાં સુધી એને ભોગવીએ, પછી એનાથી અલિપ્ત થઈ જવાનું.
त्यकतेन भुंजिया
આપણાં બધાંની એક જ ઇચ્છા હોય છે. સુખ, શાંતિ અને આનંદથી જીવવું છે, પણ એ માટે આવતી કાલની ભવિષ્યની રાહ જોવાની જરૂર નથી. આવતી કાલની કોને ખબર છે ? ભગવાન શ્રી રામચંદ્રજીને પણ ખબર નથી કે આવતી કાલે રાજ્યાભિષેકને બદલે વનવાસ મળશે ! કોને ખબર છે ! ‘કલ હો ના હો’ એ ફિલ્મનું આ ગીત કેટલું સુંદર છે :
‘હર પલ બદલ રહી હૈ રૂપ જિંદગી
છાંવ હૈ કભી, કભી હૈ ધૂપ જિંદગી
હર પલ યહાં, જી ભર જીઓ, જો હૈ સમા
કલ હો ના હો…’
આજનો દિવસ આ ક્ષણ આપણે માટે ગેરંટી છે…
માટે જ આ ક્ષણને સજાવી લઈએ.
‘નથી ખબર ક્ષણ કેવી ઊગશે
આજની ક્ષણને હસતી રાખીએ !’